Friday 23 October 2015

૨૩ મી ઓક્ટોબર

દિવ્યકાન્તભાઇ નાણાવટી
               રાજયના પૂર્વકાનૂનમંત્રી, જૂનાગઢના લબ્ધપ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી શ્રી દિવ્યકાંતભાઇ નાણાવટીનો જન્મ તા. ૨૩-૧૦-૧૯૨૩ના રોજ થયો હતો. બી.એ.નો અભ્યાસ પૂર્ણ કરી. ઇ.સ. ૧૯૪૮માં વકીલત શરૂ કરી. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ હોવા છતા રાજકારણમાં પણ સક્રિય રહેલાં. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમજ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા બજાવી હતી. ગુજરાત વિધાનસભામાં ચૂંટાઇને તેઓ ચીમનભાઇ પટેલની સરકારમાં કાયદામંત્રી તરીકે યશસ્વી કામગીરી કરેલી. ઉપરાંત રાજ્ય સરકારની પબ્લિક એકાઉન્ટન્ટ કમિટિમાં સભ્ય તરીકે અને વિધાનસભાની સમિતિના ચેરમેન તરીકે પાંચ વર્ષ સુધી રહ્યા હતા. પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય પ્રમુખસ્વામી વગેરેના પ્રીતિપાત્ર હતા. ઇ.સ. ૨૦૦૩માં દિવ્યકાંતભાઇનું નિધન થયું.

સોનેટના પ્રણેતા બળવંતરાય  ઠાકોર
              બળવંતરાય ઠાકોરનો જન્મ તા. ૨૩-૧૦-૧૮૬૯ના રોજ ભરૂચ મુકામે થયો હતો. તેઓ સાહિત્ય જગતમાં બ.ક.ઠાકોરના ટૂંકા નામથી જાણીતા હતા.
              પ્રાથમિક શિક્ષણ ભરૂચમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટમાં પુરું કરી ભાવનગરની શામળદાસ કૉલેજમાં તેઓ જોડાયા. ડેક્કન કૉલેજમાંથી ઇતિહાસ વિષય સાથે બી.એ. થયા. કવિ કાલિદાસના શાકુંતલમ નાટકનો ગુજરાતીમાં અનુવાદ એ એમનું પ્રથમ પુસ્તક હતું. ત્યારબાદ બીજા નાટક માલવિકાગ્નિમિત્ર નો અનુવાદ કર્યો.

                  સોનેટનો એક સુંદર સંગ્રહ મ્હારાં સોનેટ નામે પ્રગટ કર્યો. જૂનું પિયરઘર એમનું સુંદર સોનેટ કાવ્ય છે. નવા ઊગતા કવિઓને માર્ગદર્શન મળી રહે તે માટે કવિતા શિક્ષણ નામે પુસ્તક પ્રગટ કર્યું. ઊગતી જવાની નામે નાટકનું પુસ્તક અને સોવિયેટ નવજુવાની નામે નવલિકા સંગ્રહનાં પુસ્તકો પણ આપ્યાં.  

No comments: