Sunday 10 February 2013

૮ મી ફેબ્રુઆરી


કનૈયાલાલ મુનશી

          ગુજરાતી સાહિત્યના નવલકથા ક્ષેત્રે પ્રથમ પદને યોગ્ય રંગદર્શી સાહિત્યકાર અને રાજનીતિજ્ઞ શ્રી ક. મા. મુનશીનો જન્મ ભરૂચમાં થયો હતો. બી.એ.એલ.એલ.બી. થઇ વકીલાત શરૂ કરી સાથે સથે લેખનકાર્ય પણ શરૂ કર્યુ. ભારતવ્યાપી હોમરૂલ ચળવળથી રાજકારણમાં પ્રવેશી કૉંગ્રેસી પ્રધાનમંડળમાં મુંબઇ ઇલાકાનું કપરું મનાતું ગૃહપ્રધાનપદ યશસ્વી કામગીરીથી ઉજાળ્યું. છેલ્લે ઉતરપ્રદેશના રાજ્યપાલ તરીકે પણ રહ્યા અને  લોકચાહના મેળવી. પાટણની પ્રભુતા’,’ગુજરાતનો નાથ’,’રાજાધિરાજની નવલત્રયી વડે ગુર્જરભૂમિને નવું પરિમાણ આપ્યું. તા. ૮-૨-૧૯૭૧   ઢળતી સંધ્યાએ તેમણે દેહત્યાગ કર્યો.

 

પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી

           પંડિત સુખલાલજીનો જન્મ તા.૮-૨-૧૮૮૦ના રોજ સૌરાષ્ટ્રના વઢવાણ પાસેના લીંબડી ગામમાં થયો હતો. અચાનક ૧૬ વર્ષની ઉંમરે એમને શીતળા નીકળ્યા. આ રોગમાં એમણે દ્રષ્ટી ગુમાવી. જૈન સાધુઓ પાસેથી એમણે વિદ્યા પ્રાપ્ત કરી. તે પછી સંસ્કૃતતનો અભ્યાસ કરવા તેઓ બનારસ ગયા.

           બનારસ હિંદુ યુનિવર્સિટીના જૈન દર્શન વિભાગના તેઓ હેડ હતા. વળી તેઓ પ્રોફેસર પણ હતા. ભારતની ઘણી યુનિવર્સિટીઓએ તેમને ડિ. લિટ. ની પદવીઓ આપી એમનું સન્માન કર્યું હતું.

          તેમણે મારું જીવન વૃતાંત’, તત્વાર્થસૂત્ર’,’યોગદર્શન’,’દર્શન અને ચિંતન વગેરે પુસ્તકો લખ્યાં છે.

          આમ, ઉચ્ચા કોટિનું સાધુજીવન જીવી તા. ૨-૩-૧૯૭૮ના રોજ અમનો દેહવિલય થયો. 

No comments: